Creator

Creator
Jayanti I Parmar

Wednesday, May 27, 2020

તેલ જુઓ તેલની ધાર જુઓ...

રાજા જમી રહ્યા હતા, પીરસવા આવેલા માણસને છીંક આવી એટલે ભૂલથી રાજાના કપડામાં દાળ ના છાંટા ઉડ્યા, પછી જે રાજાએ કહ્યું તે વાંચીને…

એક રાજા નો સ્વભાવ ખૂબ જ ગરમ હતો, તે રાજાને વારંવાર ગુસ્સો આવી જતો અને નાની-નાની વાત હોય તો પણ તે ખૂબ જ ગુસ્સે થઈ જતા.અને રાજાના આવા સ્વભાવને કારણે બધા જ લોકો તેનાથી દૂર રહેતા. અને ખાસ કરીને જ્યારે પણ રાજા જમવા બેસે ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો, આજે રાજાને જમાડવાનું કામ હોય તો એ કામ કરવા માટે કોઇ તૈયાર ન થતું.

એક દિવસ એક માણસ આ કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો, રાજા જમવા બેસે ત્યારે તેને પીરસવાનું કામ આ માણસને કરવાનું રહેતું.

રાજા નો ગુસ્સો કેવો છે તે બધા લોકોને ખબર હતી અને ખાસ કરીને આ માણસને પણ ખબર હતી પરંતુ તેમ છતાં તે આ કામ કરવા માટે તૈયાર થઈ ગયો હતો.

અને આ માણસ ખાસ ધ્યાન રાખતો જેથી કરીને જમાડતી વખતે તેનાથી કોઈપણ જાતની ભૂલ ન થાય અને રાજાને વધારે પડતો ગુસ્સો ન આવે. ભૂલ તો દરેક માણસ થી થાય, એક દિવસે બપોરે જ્યારે રાજાના જમવાનો સમય થયો ત્યારે તેની થોડી તબિયત ખરાબ હોવા છતાં તે રાજાને જમવાનું પીરસી રહ્યો હતો.

એવામાં દાળની વાટકી ભરીને રાજાને પીરસી રહ્યો હતો અને રાજાને દાળ આપવા જઈ રહ્યો હતો ત્યાં તેને અચાનક છીંક આવી અને છીંક આવી એટલે તેનો તેના હાથ પર કાબૂ ન રહ્યો અને દાળના અમુક છાંટા રાજાનાં કપડાં પર પડ્યા.

રાજા ના કપડા પર જ છાંટા ઉડ્યા હતા, અને એ પણ બે થી ત્રણ જેટલા જ છાંટા ઉડ્યા હતા. પરંતુ રાજા ખૂબ જ ગુસ્સે થઈ જતા અને આ વાત પર પણ તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજા તો એકદમ ગુસ્સે થઈ ગયા.

તરત જ આજુબાજુમાં ઊભેલા સૈનિકોને આદેશ આપી દીધો કે આજના દિવસે જ આ માણસને ફાંસીના માંચડા પર લટકાવી દો. ત્યાં ઉભેલા સૈનિકોને પણ ખૂબ જ આશ્ચર્ય થયું કે આવી નાની અમથી ભૂલ કરવા માટે પણ કોઈ આટલી મોટી સજા થોડી આપે? પરંતુ રાજાની સામે દલીલ કરવાની કોઇની હિંમત ન હતી. આથી કોઈ માણસ કંઈ પણ બોલ્યો નહીં.

આ બધું થઇ રહ્યું હતું એવામાં પેલા માણસે જોતજોતામાં આખી દાળની વાડકી જેમાં છલોછલ દાળ ભરી હતી તે વાટકી રાજા પર ફેંકી દીધી. રાજા નો ગુસ્સો તો હવે જાણે કે સાતમા આસમાન ઉપર પહોંચી ગયો.

રાજાએ તેને જમવાનું પીરસી રહેલા માણસને કહ્યું, તારી આવી હિંમત કે તું મારા કપડાં પર આ રીતે દાળ ઢોળી રહ્યો છે?

તેના સૈનિકોને રાજાએ કહ્યું આને આજે નહીં પરંતુ અત્યારે જ ફાંસીએ ચડાવી દો, એટલે જે માણસ રાજાને દાળ પીરસી રહ્યો હતો તેને કહ્યું મહારાજ મને માફ કરી દો, દાળ નો આખો વાટકો તમારા ઉપર ઢોળી ને તમારું અપમાન કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી. મેતો તમારી કીર્તિને કલંક ન લાગે એટલા માટે જ આવું કર્યું છે.

રાજા પણ આ વાત સાંભળીને નવાઇ પામ્યો એટલે તેણે પૂછયું કે તું કહેવા શું માંગે છે?

માણસે જવાબ આપ્યો કે જો લોકોને એવી ખબર પડે કે માત્ર ને માત્ર તમારા કપડાં પર 2-4 દાળ ના છાંટા ઊડ્યા તેમાં તમે મને ફાંસીની સજા આપી છે તો માફ કરજો મહારાજ પણ લોકો તમારા પર હસવા લાગે. તમારા પૂર્વજોની આબરૂને પણ જાખપ લાગે. અને હવે મેં તમારા પર દાળ ઢોળી છે એટલે લોકોને એમ ખબર પડશે કે મેં સામેથી દાળની વાડકી તમારા કપડાં ઉપર ફેંકી હતી. એટલે દરેક લોકો જ સામેથી કહેશે કે રાજાનું આવું અપમાન કરવા વાળાને તો કડક સજા થવી જ જોઈએ. એટલે તમારી પ્રતિષ્ઠા ને કોઈ વિપરીત અસર નહીં થાય.

રાજાએ આખી વાત સાંભળી અને સમજી, તરત જ રાજા પોતાની જગ્યાએથી ઊભા થઈને આ માણસને ગળે ભેટી ગયા. રાજા માં જેટલો પણ ગુસ્સો હતો તે ગુસ્સો શાંત થઇ ગયો અને પ્રેમમાં પલટાઈ ગયો.

રાજાએ તે માણસ ને માફ કરી દીધો, અને સાથે સાથે આત્મજ્ઞાન કરાવવા ને લીધે તેને ઘણી કીમતી ભેટ પણ આપી.

ભલે હા કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ એટલી તો શિખામણ આ સ્ટોરી માંથી મળે છે કે સફળ વ્યક્તિ એ જ હોય છે જે હંમેશા સમય ઓળખીને વાત કરી બતાવે.

એટલે જ કહેવાય છે કે તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી જે કરવું હોય તે કરો.

No comments:

Post a Comment